30 વર્ષની ઉંમર પછી વધી શકે બ્લડ પ્રેશરનો ખતરો, ભૂલથી પણ આ સંકેતોને ન કરો નજરઅંદાજ!
High Blood Pressure Symptoms: આજે આપણામાંથી ઘણા લોકો હાઈપરટેન્શનથી પીડાઈ રહ્યા છે, તે એક સાયલન્ટ કિલર બીમારી છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર તેના લક્ષણો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મોટી બીમારીને આમંત્રણ
આજના સમયમાં કેટલીક સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જેમાંથી એક હાઈપરટેન્શન છે. આજકાલ આપણામાંથી ઘણા તેનાથી પીડાઈ રહ્યા છે. તે ઘણી મોટી બીમારીને આમંત્રણ આપી શકે છે. આ બીમારીની સમયસર સારવાર મેળવવા માટે સૌ પ્રથમ તેના લક્ષણો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાયલન્ટ કિલર બીમારી
હાઈપરટેન્શન, જેને હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર સતત ઊંચું રહે છે. આ એક એવી સ્થિતિ છે જે ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો વિના પણ વિકસી શકે છે. આ જ કારણ છે કે તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.
આ બીમારીઓનો ખતરો
સેન્ટર કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS) અનુસાર, બ્લડ પ્રેશરને હાઈ ત્યારે માનવામાં આવે છે, જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 mm Hg કે તેથી વધુ હોય અથવા ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 90 mm Hg કે તેથી વધુ હોય. જો હાઈ બ્લડ પ્રેશરની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીને નુકસાન અને અન્ય ગંભીર રોગો તરફ દોરી શકે છે.
અંગો પર ખરાબ અસર-
નેશનલ હેલ્થ મિશન દ્વારા પણ હાઈ બ્લડ પ્રેશર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી છે. તેમની માહિતી અનુસાર, જો તમને તીવ્ર માથાનો દુખાવો, તણાવ અથવા ગભરાટ, છાતીમાં દુખાવો, નાકમાંથી લોહી નીકળવું, ચક્કર આવવા, અસામાન્ય હૃદય લય (અનિયમિત ધબકારા) અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અનુભવાય છે, તો તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જ્યારે આવા લક્ષણો દેખાય છે, ત્યારે તેનો અર્થ એ હોય શકે છે કે બ્લડ પ્રેશર વધારે છે અને તે તમારા અંગો પર ખરાબ અસર કરી રહ્યું છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી તમારે નિયમિતપણે હાઈ બ્લડ પ્રેશર માટે તમારે જાત તપાસ કરાવતા રહેવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરનું કારણ
જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ આપણી ધમનીઓ પણ કુદરતી રીતે થોડી ઓછી લવચીક બને છે અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે. CCRAS અનુસાર, હાઈ બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત છે, જેમ કે વધુ પડતો તણાવ લેવો, દારૂ, તમાકુ, ચા, કોફીનું વધુ પડતું સેવન, રાત્રે જાગતા રહેવાની અને દિવસ દરમિયાન સૂવાની આદત વગેરે એવી બાબતો છે, જે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત છે અને હાઈ બ્લડ પ્રેશરને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત અનહેલ્ધી ખાનપાન, હાઈ કોલેસ્ટ્રોલ ડાયટ, વજન વધવો, કેટલીક દવાઓની આડઅસરો અને પરિવારમાં હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ પણ હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણો છે.
આ બાબતો પર ધ્યાન આપો
CCRASએ હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે ગાઈડલાઈન્સ પણ આપી છે, જેમ કે તમારા ખાનપાનમાં સુધારો કરો. ઓછી સોડિયમવાળો ખોરાક લો, ઓછી ચરબીવાળો ખોરાક લો, નિયમિતપણે ફળો અને શાકભાજી ખાઓ. નાળિયેર ખાવું સારું છે અને છાશ પણ પીવો. તમારી જીવનશૈલીમાં પણ સુધારો કરો- ધ્યાન, પ્રાણાયામ, યોગાસન, શવાસન, હળવી કસરત કરો, સકારાત્મક રહો, જો તમારું વજન વધારે છે તો વજન ઓછું કરો.
આ વસ્તુઓથી દૂર રહો
સાથે જ શું ન કરવું તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પેશાબને બળજબરીથી રોકશો નહીં, તણાવથી દૂર રહો. જંક ફૂડ ટાળો, ખાસ કરીને નમકીન નાસ્તો. પ્રોસેસ્ડ ફૂડ ટાળો, તળેલું ખોરાક ન ખાઓ. હાઈ બ્લડ પ્રેશરને કેટલીક આયુર્વેદિક ઔષધિઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે, જેમ કે, સર્પગંધા, શંખપુષ્પી, બ્રાહ્મી, જટામાંસી વગેરે કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos