ગુજરાતમાં છોતરાં કાઢી નાંખશે મેઘો! આ જિલ્લામાં આગામી 7 દિવસ આંધી-તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat Weather Alert: ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. રાજ્યના ઘણા બંધો હાઇ એલર્ટ અને ચેતવણીની સ્થિતિમાં પહોંચી ગયા છે. બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આગાહી આપી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 જૂને સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠા માટે 26 જૂને અને સાબરકાંઠા અને અરવલ્લી માટે 27 જૂને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
25 જૂનથી વરસાદ મધ્ય પ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે. 26 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં જળતર વધવાની શક્યતા રહેશે.
તારીખ 9 થી 15 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સાતમી જુલાઈ પછીનું વરસાદનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી. એટલે વરાબ થાય કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં આંતર ફેર કરવામાં આવે તો પાક પીળો પડવાની રહેતી હોય છે. અષાઢી બીજના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અમદાવાદના ભાગોમાં વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. આ ઉપરાંત માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર આ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 21 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.33 ટકા વરસાદ નોંધાયો છે.
ડેમની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં 166889 MCFt પાણી એકત્ર થયું છે. રાજ્યના 206 ડેમમાંથી 11 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, 27 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. હાલમાં 15 ડેમ હાઈ એલર્ટ પર, 12 એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ સ્ટેટસ પર છે.
Trending Photos