18-18 દિવસ વીતી ગયા બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું!
Ahmdabad Air India Plane Crash: દુનિયામાં જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે તો લોકોમાં આ અકસ્માતનું અસલી કારણ જાણવાની ઈચ્છા હોય છે. આ સાથે જ સરકાર અને સિસ્ટમને પણ તપાસને પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. ઘણીવાર આ તપાસ અનેક દિવસો સુધી ચાલે છે, જેમાં અકસ્માતને લઈને તમામ પ્રકારની સંભાવનાઓ પર તપાસ કરવામાં આવે છે. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને 18 દિવસ વીતી ગયા છે અને હજુ સુધી આ અકસ્માતમાંથી મળી આવેલા બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે.
Trending Photos
Air India Plane Crash: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે, તપાસ એજન્સી આ અકસ્માતને લઈને ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. હજુ કાટમાળ ખસેડવાની કામગીરી જારી છે. ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિન હવે મળી આવતાં તેને ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેલ) હેંગર ખાતે ખસેડવામાં આવ્યું છે.
ગુજસેલ ખાતે હેંગરમાં એક ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના એક-એક ભાગને તેની સ્થિતિ પ્રમાણે જ ગોઠવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને એન્જિનનો પત્તો મળી રહ્યો નહોતો. પરંતુ હવે મળી આવતા બાકીનો કાટમાળ બે દિવસમાં ખસેડી લેવામાં આવશે.
વિમાનનું જમણી તરફનું એન્જિન બીજે મેડિકલ કોલેજની પાણીની ટાંકી નીચે સોમવારે દબાયેલું મળી આવ્યું હતું. આ અગાઉ શનિવારે ડાબી તરફનું એન્જિન મેદાનમાં અન્ય કાટમાળ નીચે દબાયેલું મળ્યું હતું. એરક્રાફ્ટના આ બંને એન્જિનને બહાર કાઢવા માટે 300 ટનની ક્ષમતાની બે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. બંને એન્જિનને ગુજેસેલમાં લઇ જવામાં આવ્યા છે.
અગાઉ એર ઇન્ડિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનના જમણી તરફના એન્જિનનું માર્ચ-2025માં સમારકામ કરાયું હતું જ્યારે ડાબી તરફના એન્જિનનું એપ્રિલ 2025માં ઈન્સપેક્શન કરાયું હતું. બંને એન્જિનની નિયમિત ચકાસણી થતી હતી અને તેમાં કોઈ સમસ્યા જોવા મળી નહોતી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે