ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે આ 5 નેતા મજબૂત દાવેદાર, કોણ પહેરશે કાંટાળો તાજ?
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ હજી પેટાચૂંટણીની હારમાંથી બેઠી થઈ નથી, ત્યાં હવે નવા પ્રમુખ શોધવાનું કામ માથે આવી ગયું, હવે કોના શિરે આ કાંટાળો તાજ પહેરાશે?
Trending Photos
Gujarat Politics : કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. ત્યારે હવે પક્ષમાં નવા ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, હવે કોંગ્રેસની કમાન કોને સોંપાશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈને કોંગ્રેસમાં જ ભડકો થઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસમાં નવા પ્રમુખ માટે મંથન શરૂ થઈ ગયું છે. આવામાં કેટલાક નામ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસને સજીવન કરવાના છેલ્લાં કેટલાક સમયથી પ્રયાસ થઈ રહ્યાં છે. પરંતું કોંગ્રેસ સતત હારી રહ્યું છે, અને તેની સામે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે. હાલ કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ ધરીધોણી વગરની છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ પાસે કોઈ સુકાની નથી. તેથી હાઈકમાન્ડે સૌથી પહેલું કામ ગુજરાતના નવા સુકાની આપવાનું કરવાનું છે.
ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક ડખા જામ્યાં છે. નારાજગીનો દોર યથાવત રહ્યો છે. હજુ તો માળખાની રચના બાકી છે ત્યારે ખુદ પ્રદેશ પ્રમુખે જ વિદાય લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખુદ પ્રભારી મુકુલા વાસનિક ગુજરાતના નેતાઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને નવા સુકાની માટે અભિપ્રાય મેળવી રહ્યાં છે. ગુજરાતને હવે સંગઠનને વધુ મજબૂત કરી શકે, બધાને સાથે લઈને ચાલી શકે તેવા સર્વસ્વિકાર્ય નેતાની તાતી જરૂરિયાત છે.
આ નામ સૌથી વધુ ચર્ચામાં
ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણીએ પ્રભારી વાસનિક અને શક્તિસિંહની પસંદ રહી છે જ્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ હાઈકમાન્ડની લિસ્ટમાં ટોપ પર છે. અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ટોચ પર રહ્યા છે.
પાટીદાર પ્રમુખની માંગ ઉઠી
પાટીદાર નેતાને પાર્ટીની કમાન સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ છે. લાંબા સમયથી પક્ષમાં પાટીદાર નેતાને પ્રમુખ બનાવાય તેવી માંગ ઉઠતી રહી છે. સાથે જ કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની સતત અવગણના થઈ રહી છે તેવી પણ કાનાફૂસી થઈ રહી છે. આવામાં હવે પાટીદાર નેતા જ પ્રમુખ પદે આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. પક્ષના પાટીદાર નેતાઓ પાર્ટીની કમાન પાટીદાર નેતાને સોંપાય તેવી માંગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પાટીદાર નેતાઓની એક બેઠક મળવાની છે. જેમાં તમામ પાસાઓની ચર્ચા કરાશે. પાટીદાર નેતાઓ દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળીને આ મુદ્દે રજૂઆત પણ કરશે.
આમ, પાટીદારોએ પણ પ્રદેશ પ્રમુખપદને લઈને મોરચો ખોલ્યો છે. પાટીદાર નેતાઓએ ગાંધીનગરમાં પણ બેઠક કરી હતી, જેમાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ મળ્યા હતા. જેમાં પણ એકસૂર હતો કે, પાટીદારને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ મળતું નથી. તેથી હવે પાટીદાર નેતાને તક આપવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે