બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત
Amarnath Yatra 2025 : બાબા બર્ફાનીના દર્શન થાય તે પહેલાં જ દુનિયા છોડી. અમરનાથ ગુફાથી 20 પગથિયાં દૂર પડી જતા બ્રેઈન હેમરેજ થયું. વડોદરાના યાત્રિક અંતિમ વીડિયોમાં નાચતા કૂદતા જોવા મળ્યા
Trending Photos
Vadodara News : બાબા અમરનાથના દર્શને જવા માટે ગામેગામથી ભક્તો ઉમટી પડ્યા છે. પરંતું વડોદરાના એક ભક્તને બાબા અમરનાથના દર્શન નસીબ ન થયા. અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા ત્યાં તેમને પડી જતા બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. 10 દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર તેમના મિત્રો સાથે 12 દિવસ પહેલા અમરનાથની યાત્રાએ ગયા હતા. તેમનું ગ્રુપ અમરનાથ ગુફા સુધી પહોંચી પણ ગયુ હતુ. પરંતું ગુફાથી માત્ર 20 પગથિયા દૂર હતા ત્યારે તેઓ અચાનક પડી ગયા હતા. ત્યાર બાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. જેથી તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. છેલ્લા 10 દિવસથી તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ જ હતા. ત્યારે આજે તેમનું નિધન થયું છે.
તેમના નિધનના સમાચાર આવતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમના મૃતદેહને શ્રીનગરથી પ્લેન દ્વારા વડોદરા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માં શિવાની રંગ અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટના અંબુભાઈ પટેલ અને વડોદરાના પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડની મદદથી તેમને વડોદરા લાવવામાં આવી રહ્યા છે. ટિકિટ અને કોફીનની વ્યવસ્થા સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
અત્યાર સુધી 3.21 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
૩ જુલાઈએ શરૂ થયેલી અમરનાથ યાત્રાને ૧૯ દિવસ થઈ ગયા છે. ૧૯ દિવસમાં ૩.૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. મંગળવારે ૩,૫૩૬ શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી ખીણ માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રા સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને છેલ્લા ૧૯ દિવસમાં ૩.૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.
9 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે
યાત્રા ૩ જુલાઈએ શરૂ થઈ હતી અને ૩૮ દિવસ પછી ૯ ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે. યાત્રાળુઓ પરંપરાગત પહેલગામ માર્ગ અથવા ટૂંકા બાલતાલ માર્ગ દ્વારા કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી ૩૮૮૮ મીટર ઉપર સ્થિત પવિત્ર ગુફા મંદિર પહોંચે છે. પહેલગામ માર્ગનો ઉપયોગ કરનારાઓ ચંદનવારી, શેષનાગ અને પંચતરણી થઈને ગુફા મંદિર પહોંચે છે અને ૪૬ કિલોમીટરનું અંતર પગપાળા કાપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે