આડા સંબંધનો કરુણ અંજામ, પ્રેમી સાથે રહેવા માટે મહિલાએ પોતાના 3 બાળકોને મોતને હવાલે કર્યા

આડા સંબંધનો અંત હંમેશા ખરાબ હોવા છતાં લોકો ક્ષણિક મોહ અને પ્રેમમાં ભેરવાઈને આ રસ્તે જતા રહે છે અને પછી સ્થિતિ એ ઊભી થાય છે કે પરિવારના પરિવાર ઉજડી જાય છે. તેલંગણાથી આવેલો આ કિસ્સો ખુબ ચોંકાવારો છે. 

આડા સંબંધનો કરુણ અંજામ, પ્રેમી સાથે રહેવા માટે મહિલાએ પોતાના 3 બાળકોને મોતને હવાલે કર્યા

હાલમાં જ યુપીના મેરઠથી આવેલા સૌરભ હત્યાકાંડથી દેશ હચમચી ગયો જેમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની ક્રૂર હત્યા કરી ટુકડાં કરી નાખ્યા. હવે તેલંગણાથી એક એવો કિસ્સો આવ્યો છે કે જાણીને પગ નીચેથી જમીન સરકી જશે. જ્યાં એક મહિલાએ પ્રેમી સાથે રહેવા માટે પોતાના 3 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. 

મળતી માહિતી મુજબ તેલંગણાના સંગારેડ્ડીમાં મહિલા રજિતાએ તેના ક્લાસમેટ શિવા સાથે રહી શકાય એટલે બાળકોને પતાવી દીધા. આ બંને 9માં અને 10માં ક્લાસમાં એક સાથે ભણતા હતા અને થોડા સમય પહેલા જ મળ્યા હતા. પોલીસે આ મામલે 30 વર્ષની મહિલા રજિતા અને તેના પ્રેમી સુરુ શિવકુમારની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે જે ખુલાસા કર્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. પોલીસનું કહેવું છે કે શિવકુમાર અને રજિતાની થોડા મહિના પહેલા જ 10મા ક્લાસની બેચના રિયુનિયનમાં મુલાકાત થઈ હતી. 

પોલીસના જણાવ્યાં મુજબ રજિતાના ચેન્નૈયા સાથે 2013માં લગ્ન થયા હતા. 30 વર્ષની રજિતાના પતિની ઉંમર તેના કરતા 20 વર્ષ વધુ હતી. હાલ તે 50 વર્ષનો છે. એવું કહેવાય છે કે બંને વચ્ચે ઉંમરનું અંતર પણ કારણભૂત હશે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ રજિતા અને ચેન્નૈયા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન 6 મહિના પહેલા જ 10મી ક્લાસના રિયુનિયનમાં રજિતાની મુલાકાત તેના પૂર્વ ક્લાસમેટ શિવા સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી અને સંબંધ મજબૂત થયો તો બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને નવી જિંદગી શરૂ કરવા માટે રજિતાએ બાળકોને રસ્તામાંથી હટાવી દીધા. 

શિવાએ ના પાડી બાળકોને સ્વીકારવાની
વાત જાણે એમ છે કે રજિતા સાથે રહેવા માટે શરત મૂકી હતી કે તે તેના  બાળકોથી અલગ રહે, ત્યારે જ લગ્ન કરશે. રજિતાએ પછી તો પોતાના જ બાળકોની હત્યાની યોજના ઘડી નાખી જેથી કરીને એક નવી જિંદગી શરૂ કરી શકે. તેણે શિવાને પોતાના નિર્ણયની જાણકારી 27 માર્ચના રોજ કરી હતી. સંગારેડ્ડીના એસપી પારિતોષ પંકજે જણાવ્યું કે રજિતાએ આખા પ્લાનની જાણકારી શિવાને આપી હતી અને તે સહમત હતો. ત્યારબાદ રજિતાએ બાળકોને એક ટુવાલનો ઉપયોગ કરીને એક પછી એક એમ નાક અને મોઢું દબાવી દીધા અને મોતને ઘાટ  ઉતારી દીધા. વોટર ટેન્કર ચલાવતો ચેન્નૈયા જ્યારે મોડી રાતે ઘરે પાછો ફર્યો તો તેણે બહાનું  બનાવ્યું કે તેના પેટમાં દુખાવો થાય છે. રજિતાએ કહ્યું કે જ્યારથી તેણે તેમને દહીં ભાત ખવડાવ્યા છે ત્યારથી બાળકો પણ બેહોશ છે. 

પોલીસનું કહેવું છે કે દુખાવાની વાત કરતા ચેન્નૈયા અને પાડોશીઓએ રજિતા અને તમામ બાળકોને હોસ્પિટલ પહોંચાડ્યા. આ મામલે જ્યારે હોસ્પિટલકર્મીઓને શંકા ગઈ તો પોલીસને જાણ કરી. પછી તો આખો મામલો ખુલી ગયો અને રજિતાએ જ સ્વીકારી લીધુ કે તેણે જ બાળકોને માર્યા છે. મહિલાના ત્રણ બાળકોમાંથી એકની ઉંમર 12 વર્ષ, એકની ઉંમર 10 વર્ષ અને સૌથી નાના બાળકની ઉંમર 8 વર્ષ હતી. સંગારેડ્ડીના આ મામલા અને મેરઠના સૌરભ હત્યા કેસમાં જે કોમન વાત છે તે એ છે કે બંનેની મુલાકાત ક્લાસ રિયુનિયન વખતે થઈ હતી. બંને મામલાઓમાં પ્રેમી અને પ્રેમિકા વર્ષો બાદ મળ્યા તો તેમનો જૂનો પ્રેમ જાગ્યો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news