લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું વક્ફ સંશોધન બિલ, બસ હવે એક ડગલું દૂર

Waqf Amendment Bill: લાંબી સર્ચા બાદ વક્ફ સંશોધન બિલ ગુરુવારે મોડી રાતે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. તેના સમર્થનમાં 128 સાંસદોએ મત આપ્યા અને વિરોધમાં 95 મત પડ્યા. 

લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું વક્ફ સંશોધન બિલ, બસ હવે એક ડગલું દૂર

Waqf Amendment Bill: રાજ્યસભામાં શુક્રવારે જોરદાર ચર્ચા બાદ વક્ફ સંશોધન  બિલ પાસ થઈ ગયું. આ બિલ પહેલા લોકસભામાં પાસ થયું જ્યાં તેને 288 સાંસદોનું સમર્થન મળ્યું જ્યારે 232એ વિરોધ કર્યો. ત્યારબાદ રાજ્યસભામાં પણ ગુરુવારે લાંબી ચર્ચા થઈ. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓએ જોરદાર પક્ષ રજૂ કર્યો. ચર્ચા બાદ શુક્રવારે બિલ પર મતદાન થયું જેમાં 128 સાંસદોએ બિલના પક્ષમાં અને 95 સાંસદએ વિરોધમાં મતદાન કર્યું. હવે આ બિલ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. 

વક્ફ સંશોધન બિલ હેઠળ વક્ફ સંસ્થાનોની બોર્ડની અનિવાર્ય યોગદાન રકમ 7 ટકા ઘટાડીને 5 ટકા કરાઈ છે. આ સાથે જ એક લાખ રૂપિયાથી વધુ આવકવાળા સંસ્થાનો માટે રાજ્ય દ્વારા નિયુક્ત ઓડિટરો દ્વારા જરૂરી ઓડિટની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પ્રશાસનિક કાર્યક્ષમતા અને પારદર્શકતા વધારવા માટે વક્ફ સંપત્તિ પ્રબંધન હેતુ એક સ્વચાલિત કેન્દ્રીકૃત પોર્ટલની સ્થાપના કરાશે. 

રાજ્યસભામાં બિલ પાસ
બિલને પાસ કરવા માટે મોદી સરકારે બે મોટા વિધ્નો પાર કર્યા. સૌથી પહેલા લોકસભામાં સહયોગી જેડીયુ અને ટીડીપીને રાજી કર્યા અને પછી રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ સરળતાથી બિલ પાસ કરાવ્યું. વાત જાણે એમ છે કે વિપક્ષને લાગતું હતું કે આ વખતે પોતાના દમ પર બહુમત ન મેળવી શકનાર ભાજપ લોકસભામાં બિલ પાસ કરાવી શકશે નહીં. પરંતુ સરકારે સૌથી પહેલા 8 ઓગસ્ટ 2024ના રોજ બિલ સંસદમાં રજૂ કરીને સહયોગી પક્ષોને મનાવ્યા. ત્યારબાદ જેપીસીમાં મોકલાયું. સંસદીય સમિતિએ વક્ફ બિલમાં નવા ફેરફારો પર પોતાનો રિપોર્ટ 29 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ રિપોર્ટના પક્ષમં 15 અને વિરોધમાં 14 મત પડ્યા હતા. ત્યારબાદ લોકસભામાં બિલ રજૂ થયું અને મતદાન વખતે 520 સાંસદોએ ભાગ લીધો. 288 સાંસદોએ તેના પક્ષમાં અને 232 વિરોધમાં મતદાન કર્યું. 

મુસ્લિમ સંગઠનોનો વિરોધ છતાં પડખે રહ્યા
વિપક્ષને એમ લાગતું હતું કે બિહારમાં નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના સાંસદોના ભરોસે ચાલતીસરકાર વક્ફ પર નિર્ણય લેતા ખચકાશે પરંતુ 240 સીટ સાથે સંસદમાં ભાજપ એ જ મૂડમાં જોવા મળ્યું જે 303 સીટ સાથે હતો. 12 કલાકથી વધુ ચર્ચા ચાલી અને બિલ પાસ કરાવવામાં બાજી મારી. નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુએ મક્કમ મને વિપક્ષ અને મુસ્લીમ સંગઠનોના દબાણ છતાં સરકારનો સાથ આપ્યો. કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની દલીલ સુદ્ધા નીતિશકુમારની પાર્ટીએ ફગાવી. 

બીજેડીએ અંતિમ સમયે પલટી મારી
વક્ફ બિલ પર ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ પોતાના વલણમાં બદલાવ કર્યો. બીજેડીએ આ અગાઉ આ બિલનો વિરોધ કર્યો હતો અને અલ્પસંખ્યકોના હિતો વિરુદ્ધ ગણાવ્યું હતું. બાદમાં પોતાના સાંસદોને તેને પર મતદાન વખતે સ્વતંત્ર નિર્ણય લેવાની મંજૂરી આપી. બીજેડીએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી આ બિલ પર કોઈ વ્હીપ જારી કરશે નહીં અને રાજ્યસભામાં તેના સાંસદો પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને પોતાની મરજીથી મતદાન કરી શકે છે. 

રાજ્યસભામાં વધારાના સાંસદોને મળ્યો સાથ
રાજ્યસભામાં હાલ 236 સાંસદો છે જેના કારણે ત્યાં  બહુમત માટે 119 સાંસદોના સમર્થનની જરૂર હતી. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદ છે. ગઠબંધનની રીતે જોઈએ તો એનડીએના સભ્યો 119 નજીક હતા. છ નોમિનેટેડ સભ્યોને જોડો જે સામાન્ય રીતે સરકારના પક્ષમાં મતદાન કરે છે તો નંબર ગેમમાં એનડીએ 124 સુધી પહોંચતો હતો. કોંગ્રેસના 27 સાથે ઈન્ડિયા બ્લોકના 88 સભ્યો રાજ્યસભામાં હતા. ભાજપની રણનીતિનો જ કમાલ હતો જે રાજ્યસભામાં 128 મત પડ્યા જ્યારે 95 સભ્યોએ તેના વિરોધમાં મત આપ્યો. નોંધપાત્ર વાત એ હતી કે ભાજપના 3 સાંસદ મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા.

લાગૂ થશે નવી જોગવાઈ
નવી જોગવાઈઓ હેઠળ 2013ના પૂર્વ નિયમોને બહાલ કરાયા છે જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનું પાલન કરતી વ્યક્તિ પોતાની સંપત્તિ વક્ફને સમર્પિત કરી શકે છે. મહિલાઓના અધિકારોની સુરક્ષા કરવા માટે આ સુનિશ્ચિત કરાયું છે કે વક્ફ માટે સમર્પણ પહેલા તેમની સંપત્તિમાં વારસદારનો હક મળે. બિલમાં વિધવાઓ, ડવોર્સી મહિલાઓ અને અનાથ બાળકોના હિતની વિશેષ સુરક્ષાની જોગવાઈ કરાઈ છે. ા ઉપરાંત જો કોઈ સંપત્તિ વક્ફ  તરીકે દાવો કરાય છે તો હવે તપાસનું કાર્ય કલેક્ટર રેંકથી પણ ઉપરના અધિકારીઓને સોંપાશે. 

ત્રીજા અને અંતિમ  તબક્કામાં બિલ
કોઈ પણ બિલને કાયદામાં ફેરવવા માટે ત્રણ તબક્કામાંથી પસાર થવાનું હોય છે. પહેલા તબક્કામાં બિલ લોકસભામાં રજૂ કરાય છે. ચર્ચા બાદ બિલ માટે મતદાન થાય છે. બીજા તબક્કામાં બિલ રાજ્યસભામાં રજૂ કરાય છે. જ્યાં એકવાર ફરીથી ચર્ચા થાય છે. જો બંને સદનોમાં બિલ પાસ થાય તો તેને ત્રીજા અને અંતિમ તબક્કામાં મોકલવામાં આવે છે. 

રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી
વક્ફ સંશોધન બિલ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. તેને કાયદો  બનવા માટે ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર છે. જેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ બિલને પોતાની મંજૂરી આપશે તે અધિકૃત રીતે એક કાયદો બની જશે અને લાગૂ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news