Gram Panchayat Election Result: સામા પવને ય અનિરુદ્ધસિંહે રીબડાનું રાજ રાખ્યું, ગણેશ ગોંડલના ભાઈની સરપંચ ચૂંટણીમાં જીત

Jadeja Family Won In Ribada : રાજકોટના રીબડામાં હવે ચાલશે સત્યજીતસિંહનું પંચાયત રાજ, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર 77 મતથી વિજયી બન્યા 
 

Gram Panchayat Election Result: સામા પવને ય અનિરુદ્ધસિંહે રીબડાનું રાજ રાખ્યું, ગણેશ ગોંડલના ભાઈની સરપંચ ચૂંટણીમાં જીત

Gujarat Gram Panchayat Election Result : ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોની પ્રત્યક્ષ કે પ્રતીક સ્વરૂપે ગેરહાજરી છતાં કેટલીક જગ્યાએ રસાકસી સર્જાતી હોય છે અને તેમાં કડવાશ પણ ભારોભાર ઉપજતી હોય છે. એવું જ એક ગામ એટલે ગોંડલ તાલુકાનું રિબડા, જે લાંબા સમયથી બાહુબલીઓના જંગના મેદાન તરીકે જાણીતું હતું. ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતે સરપંચની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. 

રાજકોટની રીબડા ગ્રામપંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજકોટની હોટ ગણાતી ગ્રામ પંચાયત પર અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે. એક સભ્યની પેટાચૂંટણી યોજાઇ હતી. રીબડા ગામના વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. જેમાં સત્યજીતસિંહ જાડેજા 77 મતથી વિજેતા બન્યા છે. જેમાં સામે હરીફ ઉમેદવાર રક્ષિત ખૂંટનો પરાજય થયો છે. 

રીબડા સ્ટેટની ત્રીજી પેઢી 
રીબડા ગામ તો સાવ ખોબાં જેવડું પણ તેનું નામ આખું ગુજરાત જાણે છે, તેનાં પાયામાં મહિપતસિંહ જાડેજા અને તેમના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈએ ગિરાસદારી પ્રથા નાબુદ કરીને 'ખેડે તેની જમીન'નો કાયદો લાગુ કર્યો હતો. આથી ગરાસિયા ક્ષત્રિયોએ મોટી માત્રામાં જમીન ગુમાવવાનો ભય ઊભો થયો. તેની સામે ગિરાસદારી આંદોલન શરૂ થયું. એ વખતે તરુણવયના મહિપતસિંહે તેમાં ભાગ લીધો અને હદપારી પણ વ્હોરી લીધી હતી. એ વખતથી બંધાયેલી લોકપ્રિયતાને લીધે પછી તો મહિપતસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ અને બબ્બે વખત ગોંડલના ધારાસભ્ય પણ બન્યા. તેમના દીકરા અનિરુદ્ધસિંહે ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર હત્યા કરી ત્યારથી આ પંથકમાં રીબડા એટલે જાડેજા પરિવાર એવી સાખ અને ધાક ઊભા થયા. હવે ત્રીજી પેઢીએ સત્યજીતસિંહે રીબડાનું સરપંચપદ હાંસલ કર્યું છે. 

જયરાજસિંહ વિ. અનિરુદ્ધસિંહ 
ગોંડલમાં મહિપતસિંહનું એકચક્રી શાસન સમાપ્ત કરવા માટે ભાજપે જયરાજસિંહને આગળ કર્યા ત્યારથી હવે જયરાજસિંહનું એકચક્રી શાસન પ્રવર્તે છે અને તેને સમાપ્ત કરવા માટે અનિરુદ્ધસિંહ જોર અજમાવી રહ્યા છે. જયરાજસિંહ હવે પોતાના પુત્ર ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહને આગળ કરે છે તો અનિરુદ્ધસિંહ પોતાના દીકરા રાજદીપને ગોંડલ વિધાનસભાની ટીકિટ મળે એ માટે પ્રયત્નશીલ છે. બંને વચ્ચેની હુંસાતુંસી અનેક વખત તંગદીલી સર્જવામાં નિમિત્ત બની ચૂકી છે. 

સામા પ્રવાહે જીત નિર્ણાયક બનશે? 
રીબડામાં લગભગ બિનહરિફ રહેતાં જાડેજા પરિવાર માટે આ વખતે સામા પ્રવાહે તરવાનો વારો હતો. રીબડાના અમિત ખુંટ નામના યુવાને કરેલી આત્મહત્યા અને તેનાં ડાઈંગ ડેક્લેરેશનમાં જાડેજા પરિવાર તરફથી ત્રાસ મળતો હોવાના ઉલ્લેખ પછી ઘણી રાજરમતો ખેલાઈ રહી છે. એવા વાતાવરણમાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં કંઈક નવાજૂની થશે એવી ધારણા મૂકાતી હતી. પરંતુ રીબડા પરિવારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. રાજ્યના 239 કેન્દ્રો પર મત ગણતરી હાથ ધરાઈ છે. કુલ 13 હજારથી વધુ કર્મચારીઓ પ્રક્રિયામાં લાગ્યા છે. મત ગણતરીના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો સીસીટીવી કેમેરાની નજર હેઠળ મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news