ડીસામાં 21 લોકોના મોત બાદ જાગ્યું તંત્ર, તપાસ માટે કરી SITની રચના, શું મૃતકોને મળશે ન્યાય?
ગુજરાતના વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે. બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ બાદ પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 21 લોકોના મોત નિપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્ત માટે રૂપિયા 50,000 ની સહાયની જાહેરાત કરાઈ છે.
Trending Photos
બનાસકાંઠાઃ ગુજરાતમાં ગેરકાયદે ચાલતી ફેક્ટરીઓ અને ફાયર NOC વગર ધમધમતાં ઉદ્યોગો માટે જીવની જરા પણ કિંમત હોય તેમ લાગતું નથી. બનાસકાંઠાના ડીસામાં જે ઘટના તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે નતો ધંધાદારીને કંઈ પડી છે, નતો અધિકારીઓને પડી છે. બધાને રસ છે માત્રને માત્ર પૈસામાં...પૈસા મળે પછી જેનું જે થવું હોય તે થાય. ડીસામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં 21 જિંદગીઓ હોમાઈ ગઈ. માત્ર ફટાકડાના વેચાણની આ ફેક્ટરીમાં ગેરકાયદે પ્રોડક્શન થતું હતું. આ જ ગેરકાયદે પ્રોડક્શનમાં એક બ્લાસ્ટ થયો અને પછી જે થયું તેના માટે કોઈ શબ્દો નથી. સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવા સમિતીની રચના કરી છે.
21ના મોત બાદ થશે તપાસ
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયગેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવા માટે સમિતી રચી છે. સરકારે ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટીમાં સી.એલ સોલંકી DySP ડીસા વિભાગને મુખ્ય તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સભ્ય તરીકે વીજી પ્રજાપતિ, પોલીસ ઈન્સ્પેક્ટર, એજી રબારી, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ બી રાજગોર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને એનવી રહેવર, પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ખાસ તપાસ ટીમ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી પોતાનો રિપોર્ટ પરત કરશે.
ZEE 24 કલાક પર સૌથી મોટો ધડાકો! ડીસા GIDCમાં 50 ટકાથી વધુ ફેક્ટરીઓ ગેરકાયદે હોવાનો ખુલાસો#Gujarat #BreakingNews #News #Banaskantha #Deesa #Fire pic.twitter.com/SffWxa4qpt
— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2025
કામ કરવા આવ્યા અને મળ્યું મોત
કોઈનો હાથ કપાઈ ગયો, કોઈનો પગ કપાઈ ગયો...કોઈએ હંમેશા માટે વિદાય લીધી...તો કોઈ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. શરીર આખુ બળી ગયું છે. આ એ લોકો છે જેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ જિંદગીનું ગાડુ આગળ વધારવા ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં હતા...તેમને શું ખબર હતી કે આ ગેરકાયદે ચાલતી કંપનીના માલિક અને જ્યાં ફેક્ટરી બનેલી છે ત્યાંના અધિકારીઓ મોતનો ખેલ ખેલી રહ્યા હતા?...તેમને ખબર નહતી કે પૈસા કમાવવા માટે આ લોકો મોતની ફેક્ટરી ચલાવી રહ્યા હતા...
ગેરકાયદે ચાલતી ફેક્ટરી
હચમચાવી મુકે તેવા દ્રશ્યો અને તેનાથી વધારે હચમચાવી મુકે તેવી આ ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે...GIDCમાં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા અને પછી એવી આગ લાગી કે તેમાં એક-બે નહીં પણ અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ...જે મોતને ભેટ્યા તે તમામ લોકો મધ્યપ્રદેશના શ્રમિકો હતા...આ શ્રમિકો બે પૈસા કમાવવા માટે બે દિવસ પહેલા જ કંપનીમાં આવ્યા હતા...આ કંપનીએ લાયસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું એટલે કે ફટાકડાનું વેરહાઉસ હતું...અને હા, આ લાયસન્સની તારીખ પણ પત્તી ગઈ હતી એટલે કે રિન્યુ થયું જ નહતું.
ડીસામાં લાશોના ઢગલા! ઘટના નજરે જોનારાએ કહ્યું,"હું અહીં આવ્યો ને જોયું તો લાશોના ચીંથરા ઉડી ગયા હતા...."
#banaskantha #GIDC #Firecrackerfactory #blast #ZEE24KALAK #gujarat #Firetragedy pic.twitter.com/H9MKRo7JAX
— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2025
કંપનીના માલિક ખૂબચંદ્ર નાહલાણી વધારે પૈસા કમાવા હતા તો તેણે વગર લાયસન્સે ફટાકડા બનાવવાનું પણ શરૂ કરી દીધું...એ પણ ડીસા નગરપાલિકા, બનાસકાંઠા કલેક્ટર, ડીસા મામલતદાર, ડીસા ફાયર વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ...કારણ કે કંપનીનો માલિક આ બધા માટે કંઈકને કંઈક મોકલતો હશે...તેથી તો પોતાનો ધંધો ચાલી શકે...અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતી આ ફેક્ટરી મોતની ફેક્ટરી સાબિત થઈ છે. જેના કારણે અનેક ઉઠી રહ્યા છે. માત્ર વેચાણની મંજૂરી હતી તો પ્રોડક્શન કેવી રીતે ચાલતું હતું?, લાયસન્સ નહતું તો વેચાણ પણ કેમ થઈ રહ્યું હતું?, ફાયરના પુરતા સાધનો નહતા તો ફેક્ટરીને સીલ મારી કેમ નહતી?, અધિકારીઓ કેમ તપાસ માટે કંપનીમાં આવ્યા નહતા?, ફટાકડાના લાયસન્સ પર કોઈ બોમ્બ બનાવે તો?, કોઈ આતંકીઓ કંપની ચલાવતા હોત તો?, કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર શું કરી રહ્યા હતા?.
એક સાથે અનેક લોકોને મોતની નિંદર સુવડાવનારો કંપનીનો માલિક ખૂબચંદ્ર નાહલાણી ફરાર થઈ ગયો છે...તે ક્યાં છે તેની કોઈને ખબર નથી...હા અધિકારીઓને ચોક્કસ હશે...હવે આ માલિક કોર્ટમાં જઈને બંધારણમાં મળેલી બારીઓનો ઉપયોગ કરશે...પછી જે થશે તેની સૌને ખબર છે. પણ જેણે પોતાનો લાડકવાયો ગુમાવ્યો, જેણે પોતાની લાડકી ગુમાવી, જેણે પોતાનો પતિ કે પત્ની ગુમાવી તેનું શું?...કોણ એ પરિવારનું દુઃખ સાંભળશે?...સરકારે સહાયની જાહેરાત કરી છે પણ શું સહાયથી જેણે પોતાના સ્વજન ગુમાવ્યા તે પાછા આવી જશે?...
ગુજરાતમાં વારંવાર બની રહેલી આવી ઘટનાઓ પછી પણ સરકાર કે તંત્ર કોઈ બોધપાઠ લેતું નથી...રાજકોટ TRP કાંડ તો તમને યાદ જ હશે...હજુ પણ એ પરિવારો પોતાના સ્વજનને ગુમાવ્યાની વેદનામાંથી બહાર આવી શક્યા નથી...ત્યાં વધુ એક ઘટના ડીસામાં બની...અહીં પણ એ જ સામે આવ્યું કે જે ગેમઝોનની ઘટનામાં સામે આવ્યું હતું...અવાર નવાર બની રહેલી આ ઘટનાઓથી એ તો સાબિત થઈ જ રહ્યું છે કે ગુજરાતમાં જીવની કોઈ કિંમત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે