રમકડાંની સીટી બસો લઈને રાજકોટમાં ભારે વિરોધ! કોંગ્રેસનું હલ્લાબોલ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટનાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ વધારે સિટી બસ બંધ રાખવામાં આવી છે. 
 

રમકડાંની સીટી બસો લઈને રાજકોટમાં ભારે વિરોધ! કોંગ્રેસનું હલ્લાબોલ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટનાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા બાદ પણ કોન્ટ્રાકટ એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે મ્યુ. કમિશનરનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિશનર ઓફિસમાં જ રમકડાંની સિટી બસો આપી વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયા હતા. આ તકે મ્યુ. કમિશનર ભાજપનું પીઠું હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવાયો હતો.

  • રાજકોટમાં બેફામ ચાલતી સીટીબસ..
  • રમકડાંની સિટીબસ આપી મ્યુ.કમિશ્નર સામે વિરોધ..
  • વિશ્વમ સીટીબસ અને PMI એજન્સી સામે તંત્ર લાચાર..
  • માત્ર ડ્રાઇવર અને સુપર વાઇઝર સામે જ કાર્યવાહી ?

આજે સિટિબસ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનાં અગ્રણીઓ રમકડાની બસો લઈ મનપા કમિશનરની ઓફિસમાં દોડી ગયા હતા. સૌપ્રથમ આવેદન આપી કોન્ટ્રાક્ટરની સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ રમકડાંની બસો કાઢી કમિશનરનાં ટેબલ ઉપર મુકવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી આવી હતી. જેને લઈને કોંગ્રેસના આગેવાનો અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં પોલીસ દ્વારા કોંગ્રેસનાં આગેવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સિટિબસનાં અકસ્માત મામલે મહાનગરપાલિકા દ્વારા ખાસ ફેક્ટ ફાઇન્ડીગ કમિટીની રચના કરવામાં આવી છે. ડ્રાઇવર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ અકસ્માતના કારણ અંગે અને સમગ્ર ઘટના અંગે કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. જે કંઈ તપાસમાં બહાર આવશે તે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. 

સિટીબસ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે અકસ્માત સર્જ્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા દાવાઓ કરવામાં આવ્યા. પરંતુ આ ઘટનામાં વિશ્વમ સિટીબસ એજન્સીના વિક્રમ ડાંગર અને PMI એજન્સીના રાજકોટના કર્મચારી જસ્મિન રાઠોડ સમે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી દ્વારા માત્ર ડ્રાઇવર અને સિટીબસ ડેપોના સુપરવાઈઝર સામે ફરિયાદ નોંધી સંતોષ માની લેવામાં આવ્યો છે. જોકે 15-15 લાખની સહાય મૃતકના પરિવારજનોને આપી તંત્રએ પણ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોઈ તેવું લાગી રહ્યું છે. કડક કાર્યવાહીના દાવાઓ કરનાર મ્યુનિસિપલ કમિશ્નર ક્યાં સુધીમાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news