અહો આશ્ચર્યમ્! શૌચાલય તોડી બે મહિનાથી અહીં ધમધમે છે ભજિયાની દુકાન, AMC નિદ્રાધીન
Ahmdabad News: અમદાવાદમાં વર્ષો પહેલા એકથી બે લાખની કિંમતમાં બનેલા શૌચાલય મ્યુનિ. કોર્પોરેશનની મંજૂરી વગર રાતોરાત તોડીને દુકાન અથવા તો દુકાન સામેની જગ્યા ખુલ્લી કરી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની સામે મ્યુનિ.કોર્પોરેશન પગલાં ભરવાના બદલે ચૂપકિદી સેવી રહ્યું છે. શાસ્ત્રીનગર બાદ હવે શાહપુરનું શૌચાલય જમીનદોસ્ત કરાયું છે. આ ઘટનામાં ભાજપના હોદ્દેદારના મળતિયાઓનું કારસ્તાન ખૂલ્યું છે.
Trending Photos
અમદાવાદ: નારણપૂરા બાદ શાહપૂરમાં ભાજપના હોદ્દેદારના મળતિયાઓએ શૌચાલય તોડીને ભજિયાની દુકાન બનાવી દીધી છે. તાજેતરમાં શાસ્ત્રીનગરમાં ભાજપના હોદ્દેદારે શૌચાલય અને બસ સ્ટેન્ડ ગાયબ કરી દેતા વિવાદ થયો હતો. હવે શાહપૂરમાં દિલ્હી દરવાજા પાસે લીમડાં ચોક નજીક ખૂણા પર આવેલું એક શૌચાલય પણ તોડી પડાયું છે.
સ્થાનિક ડે.મ્યુનિ.કમિશનરે આ વિશે જણાવ્યું છે કે ગત એપ્રિલ મહિનામાં શૌચાલય તોડવાની માહિતી મળી હતી. જેથી પોલીસ ફરિયાદ દાખલ કરવા પત્ર લખ્યો હતો. પરંતુ હવે આ સ્થળ પર ફરી શૌચાલય બનાવાશે. આ શૌચાલયનો આસપાસના વેપારીઓ, અવરજવર કરતાં રાહદારીઓ અને મજૂરો ઉપયોગ કરતાં હતાં.
સ્થાનિકો જણાવે છે કે શૌચાલય તોડીને બનાવેલી દુકાન 15 દિવસ પહેલા ભાડે અપાઈ હતી. શૌચાલયના સ્થળે પેવર બ્લોક પણ નાંખી દેવાયા છે. શાહપૂર વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ કહ્યું કે, શૌચાલયમાં નિયમિત સફાઈ થતી નહોતી. ગંદકી રહેતી હતી. તેને તોડવા માટે રજૂઆત મળી હતી. જે આરોગ્ય વિભાગને મોકલી આપી હતી. પરંતુ તોડવાની મંજૂરી અપાઈ નથી. જેથી તપાસ કરાશે.
શાહપૂરના દિલ્હી દરવાજા પાસે આવેલું શૌચાલય બે મહિના પહેલા તોડીને દુકાન બનાવી દીધી હોવા છતાં મ્યુનિ. તંત્ર ઊંઘતું રહ્યું છે. આ હરકત સામે સ્થાનિક ભાજપના ત્રણેય કોર્પોરેટરોએ ચૂપકિદી સેવી છે, તો કોંગ્રેસના એક કોર્પોરેટરે વાંધો લીધો છે.
આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીએ માત્ર ફરિયાદ દાખલ કરવા પોલીસને પત્ર લખી ચુપકીદી સેવી લીધી છે. કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે, નિયમિત સફાઈ થતી હતી. ભાજપના મળતિયાઓએ શૌચાલય તોડી પાડયું છે. સ્થાનિક ભાજપના હોદ્દેદારોના ઈશારે મ્યુનિ. અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે. આ સ્થળે ફરી શૌચાલય બનાવવા માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે