તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારીને વિશ્વાસમાં લઈ 67 લાખથી વધુની કરી છેતરપિંડી

Ahmedabad News: વધુ એક વખત અંધશ્રદ્ધામાં વિરમગામના વેપારી પાસેથી મહિલા તાંત્રિકે લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામ પોલીસે ઠગ મહિલા તાંત્રિકની ધરપકડ કરી 67 લાખ રૂપિયા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારીને વિશ્વાસમાં લઈ 67 લાખથી વધુની કરી છેતરપિંડી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ પોલીસ સ્ટેશનમાં એક અજીબ ફરિયાદ નોંધવા પામી છે. જેમાં વિરમગામના ફરસાણના વેપારી દિનેશભાઈ શેઠ વર્ષોથી વિરમગામમાં ફરસાણનો વ્યવસાય કરે છે. વિરામગામ તંત્ર તરફથી મુખ્ય રોડ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીમાં ફરિયાદી દિનેશભાઈ શેઠની દુકાન પણ ગેરકાયદેસર દબાણ હેઠળ આવતી હોવાથી ફરસાણની દુકાનનું અમુક બાંધકામ તોડવાનું હતું. 

જ્યારબાદ દિનેશભાઈ શેઠને સાઢુ દ્વારા મહિલા તાંત્રિક કોમલબા જયરાજસિંહ રાઠોડ સાથે સંપર્ક થયો હતો અને ફરિયાદી દિનેશભાઈ શેઠે પોતાની તકલીફ જણાવતા મહિલા તાંત્રિક કોમલબા જયરાજસિંહ રાઠોડે કહ્યું હતું કે, તમારી દુકાન દબાણમાં દૂર નહીં થાય તેના માટે માતાજી રક્ષણ પૂરું પાડશે અને તમારી દુકાન નીચે સોનુ પણ દટાયેલ છે. જેની પણ વિધિ કરીને સોનું કાઢી આપીશ. આ વાતનો વિશ્વાસ આપવવા માટે મહિલા તાંત્રિક કોમલબા જયરાજસિંહ રાઠોડે કેમિકલથી પોતાના હાથમાંથી કંકુ કાઢીને દેખાડતા ફરિયાદી વેપારી અને તેનો પરિવાર વિશ્વાસમાં આવી ગયા હતા અને તાંત્રિક વિધિ કરવા માટે સહમતી આપી હતી.

મહિલા તાંત્રિક કોમલબા જયરાજસિંહ રાઠોડે માતાજીની તાંત્રિક વિધિ કરવા માટે માતાજીનો ચડાવો અને ઘરના સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિતની વસ્તુઓની જરૂરીયાતની વાત કરી હતી અને ઘરમાં તાંત્રિક વિધિ કરી હતી. 

તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ
દુકાન દબાણ સામે રક્ષણ અને દુકાન નીચેના સોનાને ઘરમાં ખેંચી લાવવા માટેની તાંત્રિક વિધિ માટે મહિલા તાંત્રિકે તરકટ રચ્યું હતું. જેમાં ગત ઓકટોબર-2024થી તા. 03/04/2025 દરમિયાન અલગ-અલગ તારીખ સમયે ફરિયાદી દિનેશભાઇ શેઠને મહિલા તાંત્રિક આરોપી કોમલબા જયરાજસિંહ રાઠોડ દ્વારા તમારું ધાર્યું કામ થશે અને તમારી દુકાન દબાણમાં નહીં તૂટે તેને રક્ષણ આપુ છું. 

આરોપીએ ઇશ્વરીકૃપાનો ભરોષો તથા વિશ્વાસ આપી અને તમારી દુકાનની નીચે રહેલ સોનું વિધિ કરી તમારા ઘરમાં જમીનમાંથી કાઢી લાવીશ તેમ કહી ફરિયાદીના ઘરના પરિવારના સભ્યોને ભરોષા અને વિશ્વાસમા લઇ ફરિયાદીના ઘરના રૂમમા બેસી માતાજીના નામની વિધિ કરી વિધિમાં સોના ચાંદીના ઘરેણા મુકાવી વિધિ કરી રૂમ બંધ કરી આરોપીએ પુછ્યા વગર રૂમ નહીં ખોલવા જણાવ્યું હતું. બાદમાં અધુરી વિધિ પુરી કરવી પડે જો નહી કરાવો તો માતાજીનો પ્રકોપ ઉતરશે અને તમે મોતને ભેટશો તેવો ડર બતાવી મોટુ નુકસાન આવશે તેમ કહી ફરિયાદીના ઘરના સભ્યોને ડરાવી બળજબરીથી ઘરના સભ્યોના સોના ચાંદીના ઘરેણા પુજામાં મુકાવ્યા અને છુપાવીને રૂમમાથી લઇ ગઈ હતી.

તાંત્રિક વિધિના નામે 67 લાખ પડાવ્યા
જેની કિંમત રૂપિયા 44.71 લાખ થવા પામે છે. સાથે જ તાંત્રિક વિધિના બહાના હેઠળ માતાજીને ચડાવવા અને  માતાજીનો શણગાર ખરીદવા માટે જુદી-જુદી તારીખોએ આંગણીયા મારફતે જુદા-જુદા નામે તેમજ હાથ ઉછીના માટે રોકડ કુલ રૂ. 22,50,000, સોના ચાંદીના ઘરેણાની રકમ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. 67,21,390 પડાવી લીધા હતા. 

બાદ ફરિયાદીના ઘરમાં તાંત્રિક વિધિ પૂરી કર્યા બાદ મહિલા તાંત્રિક કોમલબા જયપાલસિંહ રાઠોડે પરિવારને એક પોટલી આપી હતી. જેમાં તેના ઘરેણા છે અને થોડા દિવસ પછી ખોલજો જ્યારે પરિવાર થોડા દિવસ પછી પોટલી ખોલી તો તેમાંથી તમામ ઘરેણા નકલી નીકળ્યા હતા અને દુકાન પણ દબાણમાં આવી હતી. જેથી પરિવારને લાગ્યું કે લાખો રૂપિયાના મત્તાની છેતરપિંડીનો ભોગ બન્યા છે.

પોલીસે મહિલા તાંત્રિકની કરી ધરપકડ
પરિવાર છેતરપિંડીનો ભોગ બનતા વિરમગામ પોલીસનો સંપર્ક કરી મહિલા તાંત્રિક કોમલબા જયપાલસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વિરમગામ પોલીસે મહિલા તાંત્રિક કોમલબા જયપાલસિંહ રાઠોડની પંચમહાલથી ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ પ્રકારે કેટલાક લોકોને છેતર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news