600થી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન ભારત યોજનામાંથી પાછળ હટી, યાદીમાં ગુજરાત ટોપ પર
ગરીબો અને જરૂરિયાતવાળાને મફત સારવાર મળે તે હેતુથી શરૂ કરાયેલી આયુષ્યમાન ભારત યોજના અંગે એક ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. જાણો વિગતો.
Trending Photos
વર્ષ 2018માં શરૂ થયેલી ભારત સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (AB-PMJAY) અંગે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સરકારી આંકડા મુજબ આ યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાથી આ યોજનામાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. આ હોસ્પિટલોએ ચૂકવણીમાં થતા વિલંબ અને ઓછા રિએમ્બેસમેન્ટ રેટ જેવા કારણોનો હવાલો આપીને આ યોજનાથી પોતાને અલગ કર્યા છે.
સૌથી વધુ ગુજરાતની હોસ્પિટલો થઈ બહાર
આયુષ્યમાન ભારત યોજનાથી પોતાની અલગ કરનારી પ્રાઈવેટ હોસ્પિટલોમાં સૌથી વધુ ગુજરાતની છે. અહીં 233 હોસ્પિટલોએ યોજનામાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ કેરળમાં 146 અને મહારાષ્ટ્રમાં 83 હોસ્પિટલોએ પણ આ પ્રકારનું પગલું લીધુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રતાવરાવ જાધવ દ્વારા રાજ્યસભામાં શેર કરાયેલા આંકડાઓ મુજબ કુલ 609 પ્રાઈવેટ હોસ્પિટલ અત્યાર સુધીમાં આ યોજનામાંથી બહાર થઈ ચૂકી છે. આ સ્થિતિ આ યોજના માટે ચિંતાનો વિષય બની છે, જેનો હેતુ દેશના 10 કરોડ પરિવારો કે લગભગ 50 કરોડ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ખાનગી હોસ્પિટલોની ફરિયાદ
ખાનગી હોસ્પિટલોનું કહેવું છે કે યોજના હેઠળ નિર્ધારિત ઓછા દરો અને ચૂકવણીમાં થતો વિલંબ તેમનું કામકાજ મુશ્કેલ બનાવે છે. અનેક હોસ્પિટલોએ દાવો કર્યો છે કે રાજ્ય સરકારો દ્વારા સમય પર ફંડ જારી ન કરવાના કારણે તેમને સમયસર પૈસા ન મળ્યા, જેનાથી તેઓ આ યોજનામાં ભાગીદારી ચાલુ રાખવામાં અસમર્થ બની રહ્યા છે. જેમ કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ની હરિયાણા શાખા હેઠળ ફેબ્રુઆરીમાં સેકડો ખાનગી હોસ્પિટલોએ યોજના હેઠળ સેવાઓ આપવાનું બંધ કરવાની જાહેરાત કરી હતી. કારણ કે ત્યાં 400 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી બાકી હતી. ત્યારબાદ પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ એસોસિએશને આ પ્રકારની માંગણી કરી હતી.
છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં કેટલાક ટ્રીટમેન્ટ પેકેજ ફક્ત સરકારી હોસ્પિટલો માટે અનામત હોવાથી અને સરકારી હોસ્પિટલથી કોઈ રેફરલ ન મળવાના કારણે પણ ખાનગી હોસ્પિટલો તેમાંથી બહાર થઈ રહી છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (એનએચએ)એ આંતર રાજ્ય હોસ્પિટલો માટે ક્લેમ દાખલ કર્યાના 15 દિવસની અંદર અને પોર્ટેબિલિટી હોસ્પિટલો (રાજ્ય બહાર સ્થિત) માટે 30 દિવસની અંદર હોસ્પિટલોને ક્લેમની ચૂકવણી કરવા માટે દિશા નિર્દેશ નિર્ધારિત કર્યા છે.
યોજનાનો હેતુ અને વર્તમાન સ્થિતિ
આયુષ્યમાન ભારત યોજનાને 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડના રાંચીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાઈ હતી. આ યોજના ગરીબ અને નબળા પરિવારોને દર વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર વીમો આપે છે. યોજનાની શરૂઆતમાં લગભગ 10.74 કરોડ ગરીબ અને નબળા પરિવાર સામેલ હતા. જે 2011ની સામાજિક આર્થિક અને જાતિ જનગણના (SECC) મુજબ ભારતની વસ્તીના નીચલા 40 ટકા છે. બાદમાં જાન્યુઆરી 2022માં લાભાર્થી આધારને સંશોધિત કરીને 55.0 કરોડ વ્યક્તિઓ કે 12.34 કરોડ પરિવારો સુધી કરી દેવાયો. એકલા 2024માં આ યોજનાનો વિસ્તાર કરીને 37 લાખ આશા અને આંગણવાડી કાર્યકરો અને તેમના પરિવારોને મફત સ્વાસ્થ્ય સેવા લાભ માટે કવર કરાયા અને વર્ષના અંતમાં સરકારે 70 વર્ષ અને તેનાથી વધુ આયુના લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને તેમાં સામેલ કરવાની જાહેરાત કરી. બાદમાં ઓડિશા અને દિલ્હી PMJAY માં સામેલ થનારા 34માં અને 35માં રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ (UT) બની ગયા. જેનાથી આ યોજના હેઠળ 70 લાખથી વધુ પરિવારો વધુ જોડાયા.
સરકારનો જવાબ
સરકારનું કહેવું છે કે તેઓ આ સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય પગલું ભરી રહ્યા છે. હરિયાણામાં આયુષ્યમાન ભારતની સંયુક્ત સીઈઓ અંકિતા અધિકારીએ હાલમાં કહ્યું હતું કે ફંડ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયાની અંદર સ્થિતિને સંભાળી લેવાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોની ફરિયાદોને ગંભીરતાથી લઈને પેકેજ દરોની સમીક્ષા અને ચૂકવણી પ્રક્રિયાને તેજ કરવાની વાત કરી છે.
આગળના પડકારો
જો કે યોજનાએ અત્યાર સુધીમાં કરોડો દર્દીઓને લાભ પહોંચાડ્યો છે અને લગભગ 36 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ જારી કરાયા છે. પરંતુ ખાનગી હોસ્પિટલોનું બહાર થવું એ આ યોજનાના ભવિષ્ય માટે જોખમ બની શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો ચૂકવણી પ્રણાલીમાં સુધારો ન કરાયો તો હજુ પણ વધુ હોસ્પિટલો આ યોજનામાંથી બહાર થઈ શકે છે. જેનાથી સૌથી વધુ જોખમ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓને થશે.
આયુષ્યમાન ભારત યોજના અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકારની સામે સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાનગી ક્ષેત્રની ભાગીદારી બની રહે અને ગરીબો સુધી સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ પ્રભાવિત ન થાય. આ દિશામાં નક્કર પગલું ભરવાની જરૂર છે જેથી કરીને આ યોજનાનો મૂળ હેતુ પૂરો થઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે