કોંગ્રેસમાં શરૂ થઈ ઉઘરાણી, અધિવેશન તો પતી ગયું, હવે હોટલોનું બાકી ભાડું કોણ આપશે!

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશનમાં બુક કરાવેલી હોટલોનું નથી ચૂકવ્યું ભાડું, હોટલ માલિકોએ શરૂ કરી ઉઘરાણી

કોંગ્રેસમાં શરૂ થઈ ઉઘરાણી, અધિવેશન તો પતી ગયું, હવે હોટલોનું બાકી ભાડું કોણ આપશે!

Ahmedabad News : ગત મહિને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા અધિવેશનમાં બુક કરવામાં આવેલી હોટલોનું ભાડું હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે બુક કરાવેલી હોટલના ભાડા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની 35 થી વધારે હોટલમાં 3 હજારથી વધારે નેતાઓ માટે રૂમ બુક કરવામાં આવ્યા હતા. ત્યારે હજી સુધી હોટલના રૂમના ભાડા ન ચુકવાતા માલિકોએ ઉઘરાણી શરૂ કરી છે. ત્યારે આ અંગે હોટલ માલિકો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. હોટલ માલિકો નેતાઓને મળીને પરત ફર્યા હતા. 

64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેમાં 2000થી વધુ કોંગ્રેસ નેતાઓ સામેલ થયા હતા. 8-9 એપ્રિલે યોજાયેલા બે દિવસીય અધિવેશનમાં અનેક રાજકીય બાબતો અને ભવિષ્યમાં પક્ષને મજબૂત કરવા માટેની વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં કોંગ્રેસના યોજાયેલા અધિવેશનમાં 3000 મહેમાનો માટે 39 હોટલમાં 1600થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા હતા. આ રૂમ હયાત, નર્મદા આઈટીસી જેવી ફાઇવ સ્ટાર હોટલોમાં રાખવામાં આવ્યા હતા. આ પૈકી ઘણી હોટલમાં બે થી ત્રણ દિવસ માટે રૂમ બુક કરવામાં આવ્યા હતા. શુક્રવારે કેટલાક હોટલવાળા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બિલની ઉઘરાણી કરવા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

કોંગ્રેસમાં કકળાટ
કોંગ્રેસના નેતાઓનો કકળાટ કંઈ કરીને શાંત થતો નથી. કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમાંકાંત માંકડ અને હેમાંગ રાવલ વચ્ચે શાબ્દિક ટપાટપી ઝરી હોવાનો કિસ્સો બન્યો છએ. રાહુલ ગાંધીની જાતિ આધારીત ગણતરીની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારતાં કાંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન યોજાયું હતું. આભાર દર્શનના કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર ઉમાકાંત માંકડે કરેલી પોસ્ટ પર હેમાંગ રાવલે ટીપ્પણી કરી હતી. હેમાંગ રાવલની ટિપ્પણીને આધારે બંને નેતાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. જોકે કાર્યાલયમાં હાજર નેતાઓએ આ મામલો થાળે પાડ્યો હતો.

નિરીક્ષકો સામે કડક પગલા લેવાયા
એઆઇસીસીએ ચાર નિરિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. એઆઇસીસીના નિરિક્ષકોએ જિલ્લા અને તાલુકા સ્તરે જઇ કાર્યકરોની રજુઆત સાંભળવાની હતી. પરંતું કેટલાક નેતા માત્ર એક દિવસ ગુજરાતના પ્રવાસને આવી પરત ફર્યા હતા. જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં તેમની ગેર હાજરી દેખાતાં તેમણે દુર કરાયા છે. 

તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે થઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઝારખંડના સાંસદ સુખદેવ ભગત, બળદેવજી ઠાકોર, રાજેશ ગોહિલ, કિરીટ પટેલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાંસદ ગેનીબેન ઠાકોર, પીસીસી નિરક્ષક બળદેવજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર ભાભર કાંકરેજ લાખણી સહિતના તાલુકાના કોંગ્રેસના કાર્યકરો માટે હાલ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ભરતસિંહ વાઘેલા, નરસિંહ દેસાઈ,વિપુલ શાહ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, માંગીલાલ પટેલ અને આંબાભાઈ નાઈ કોંગ્રેસના જિલ્લા પ્રમુખની રેસમાં હોવાની ચર્ચા છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ માટે થઈને હાલ સેન્સ પ્રક્રિયા દિયોદર ખાતે યોજાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news