રૂમ પાર્ટનર પૈસાદાર હોવાથી સાથી 3 મિત્રોએ ખંડણીનો પ્લાન બનાવ્યો, મગજ ચકરાવે ચઢાવે તેવી મર્ડર મિસ્ટ્રી

Ahmedabad Crime News : સાણંદમાં પાંજરપોળ વિસ્તારમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે, ત્રણ મિત્રોએ અપહરણનો પ્લાન તો બનાવ્યો પણ પકડાઈ ગયા 

રૂમ પાર્ટનર પૈસાદાર હોવાથી સાથી 3 મિત્રોએ ખંડણીનો પ્લાન બનાવ્યો, મગજ ચકરાવે ચઢાવે તેવી મર્ડર મિસ્ટ્રી

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : રૂમ પાર્ટનરનો પરિવાર પૈસાદાર હોવાથી સાથી મિત્રએ ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો. પરંતું અપહરણ બાદ મિત્રએ વધુ અવાજ કરતા જ ગળું દબાવ્યું અને તેની હત્યા થઈ ગઈ. તેના બાદ ટ્રોલી બેગમાં મૃતદેહ ભરીને નિકાલ કર્યો. પરંતુ હત્યાનો ભેદ ઉકેલાય જતા રૂમ પાર્ટનર અને બે મિત્રો ઝડપાઈ ગયા. તો અન્ય એક ફરારની શોધખોળ શરુ કરી છે. 

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલ પાંજરાપોળ નજીક આવેલ અવાવરું જગ્યામાંથી 10 મી જુનના દિવસે સવારે 11 વાગ્યા આસપાસ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે યુવકની કોઈ ઓળખ ના થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આખરે યુવકની ઓળખ થતા પોલીસે તેના મોબાઇલની કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શ્વાસ રૂંધાઇ જવાથી યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. 

યુવકની હત્યા થઈ હોવાની વિગતો સામે આવતા સાણંદ પોલીસે હત્યાના કેસમાં તપાસ શરૂ કરી હતી. તેમાં સફળતા મળતા સાણંદ પોલીસે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હત્યા અંગેનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ઓળખ કર્યા બાદ મૃતકની ઓળખ નિરંજન શર્માના હોવાની આવી હતી અને તેની હત્યા પણ તેના રૂમ પાર્ટનર બે મિત્ર રવીકુમાર રાય અને સોનલ ઘાટે કરી હોવાનો ખુલાસો થયો હતો. 

આ કેસમાં સાણંદ પોલીસે બે હત્યારા મિત્રની ધરપકડ કરી છે. જ્યારે સન્ની મંડલ નામનો ફરાર મિત્રની શોધખોળ શરૂ કરી છે.

આ રીતે થઈ હતી નિરંજન શર્માની અટકાયત
અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે વધુ માહિતી આપતા જણાવ્યું કે, સાણંદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે મૃતક નિરંજન શર્મા મૂળ બિહારનો રહેવાસી છે. જે છેલ્લા એક વર્ષથી સાણંદમાં ખાનગી કંપનીમાં કામ કરે છે. જેની સાથે રવીકુમાર રાય, સોનલ ઘાટ અને સન્ની મંડલ પણ કામ કરે છે. ચારેય મિત્રો સાથે જ સાણંદના એક મકાનના બે અલગ અલગ રૂમમાં રહે છે. નિરંજન શર્માનો પરિવાર આર્થિક રીતે ખુબજ સધ્ધર હોવાની જાણ થતાં જ રવિ, સન્ની અને સોનલે સાથે મળીને ખંડણી માંગવાનો કારસો ઘડ્યો હતો અને ખંડણીના ઈરાદે 9 મી જુનના દિવસે સાંજના 4.30 વાગ્યાની આસપાસ ત્રણેય નિરંજનને નળસરોવર રોડ પર ચા પીવા માટે લઇ ગયા હતા. બાદમાં સાંજના સમયે તેને જમવાના બહાને સોનલની રૂમમાં લઇ ગયા હતા. જ્યાં તક મળતા જ સન્નીએ નિરંજનને પાછળથી બળપૂર્વક મોઢું દબાવી નીચે પછાડી દીધો હતો. ત્યારે મૃતક નિરંજન વધારે અવાજ કરતો હોવાથી તેણે બૂમો પાડી હતી. જેથી ગભરાઈ ગયેલ સન્નીએ બાદમાં તકિયાથી તેનું મોઢું દબાવી રાખ્યું હતું. જ્યારે સોનલે બંને પગ દબાવી રાખ્યા હતા. અને રવીએ હાથ પકડ્યા હતા. લાંબા સમય સુધી શ્વાસ રૂંધાઇ જતાં નિરંજન શર્માનું મૃત્યુ નીપજ્યું હતું. 

હત્યા થઈ ગયા બાદ આરોપીઓએ પોતાની કરતૂતો છુપાવવા માટે એક ટ્રોલી બેગ ખરીદી હતી. અને મૃતદેહને બેગમાં ભરીને પાંજરાપોળ પાસે અવાવરૂ જગ્યામાં ફેંકી બેગ લઈને પરત આવી ગયા હતા. બાદમાં ત્રણેય પોતાના વતનમાં જતા રહ્યા હતા. પણ સાણંદ પોલીસની તપાસથી બચી ન શક્યા અને હત્યાના ગુનામાં પોલીસે તેમને પકડી લીધા છે. 

શરૂઆતના તબક્કે જ્યારે પોલીસને નિરંજનના રૂમ પાર્ટનર રવિની પૂછપરછ કરી ત્યારે તેની ગતિવિધિ શંકાસ્પદ લાગતી હતી. જો કે જ્યારે ટેકનિકલ તપાસ કરતા પોલીસની શંકા મજબૂત બની હતી. રવીએ નિરંજન અને તે બંન્ને સાથે ક્રિકેટ રમવા માટે ગયા હતા. બાદમાં નિરંજનનો કોઈ પત્તો ના હોવાનું રટણ કરી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં તેઓ ક્યાંય પણ ક્રિકેટ રમવા માટે ગયા જ ના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ઉલટ તપાસમાં રવિ અને તેના મિત્રોની પોલ ખુલ્લી પડી જતા સમગ્ર હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. 

પકડાયેલા આરોપીઓના રવિ મૂળ ઝારખંડ, સોનલ અને સન્ની મંડલ બિહારના રહેવાસી છે. અને છેલ્લા એક વર્ષથી તેઓ અહીં સાથે કામ કરે છે. તમામ આરોપી ઓએ આઇટીઆઇનો અભ્યાસ કર્યો છે. નિરંજનની વાતો પરથી તેનો પરિવાર પૈસાદર હોવાની જાણ આરોપીઓને થઇ હતી જેથી તેમની દાનત બગાડતા અપહરણ કરીને ખંડણી માંગવાનો ઈરાદો હતો પણ સફળ ન થતા હત્યા થઇ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news