Devshayani Ekadashi 2025: જુલાઈ મહિનાની કઈ તારીખે રાખવું દેવશયની એકાદશીનું વ્રત ? જાણો પૂજા વિધિ અને વ્રતના નિયમ
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી ખાસ હોય છે. કારણ કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 માસ માટે યોગ નિંદ્રામાં જાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ 4 માસ દરમિયાન લગ્ન, મુંડન સહિતના શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. તો ચાલો જાણીએ આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે આવશે?
Trending Photos
Devshayani Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી શુભ ફળ મળે છે તેવી માન્યતા છે. એકાદશીના દિવસે વ્રત, દાન, ઉપાસના કરવાનું મહત્વ રહેલું છે. એકાદશી દર મહિનામાં કૃષ્ણ પક્ષ અને શુક્લપક્ષ એમ બે વખત આવે છે. વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં દેવશયની એકાદશીનું વ્રત સૌથી વિશેષ ગણાય છે.
દેવશયની એકાદશી ખાસ એટલા માટે હોય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાં જાય છે અને ચાતુર્માસ શરૂ થાય છે. આ વર્ષે દેવશયની એકાદશીની શરૂઆત 5 જુલાઈ સાંજે 6.58 મિનિટથી થશે અને એકાદશીનું સમાપન 6 જુલાઈએ રાત્રે 9.14 મિનિટે થશે અનુસાર આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત 6 જુલાઈ 2025 ના રોજ રાખવાનું હશે અને આ દિવસથી જ ચાતુર્માસનો પ્રારંભ થશે.
દેવશયની એકાદશીના શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત - સવારે 4.08 મિનિટથી 4.48 મિનિટ સુધી
વિજય મુહૂર્ત - બપોરે 2.45 થી 3.40 સુધી.
અભિજીત મુહૂર્ત - બપોરે 12.01 થી 12.49 સુધી
નિશિતા મુહૂર્ત - 12.06 થી 12.46 સુધી
અમૃતકાળ - બપોરે 12.51 થી 2.38 સુધી
દેવશયની એકાદશીની પૂજા કરવાની વિધિ
સૌથી પહેલા સૂર્યોદય પહેલા જાગી જવું અને પૂજા કરવાના સ્થાને ગંગાજળથી શુદ્ધ કરવું. ત્યાર પછી એક બાજોટ પર પીળા રંગનું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. ભગવાન વિષ્ણુને પીળા રંગના નવા વસ્ત્ર પહેરાવો સાથે જ ફુલ, તુલસી પત્ર તેમજ ફળ અર્પણ કરો. ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીવો કરો અને દેવશયની એકાદશીની કથા વાંચો. દેવશયની એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ ધરાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.
દેવશયની એકાદશી પર કરો દીવાનો ઉપાય
દેવશયની એકાદશીને લઈને કેટલાક જ્યોતિષ ઉપાય પણ જણાવેલા છે જેને કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. આ ઉપાય કરવા માટે અન્ય કોઈ વિધિ કરવાની જરૂર નથી. દેવશયની એકાદશીના દિવસે 5 જગ્યાએ ઘીનો દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
- દેવશયની એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરવો.
- દેવશયની એકાદશીના દિવસે ઘરના રસોડામાં પણ એક દીવો કરવો જોઈએ. રસોડું માં અન્નપૂર્ણાનું સ્થાન છે અને અહીં દીવો કરવાથી ઘરમાં અન્ન અને ધનમાં બરકત વધે છે.
- દેવશયની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવા કરવા જોઈએ.
- દેવશયની એકાદશીના દિવસે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે ઘીનો અખંડ દીવો કરવો.
- દેવશયની એકાદશીની સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે