ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતે એક્ટિવેટ કરી S-400 એર ડિફેન્સ સિસ્ટમ, જાણો કેમ ડરે છે દુશ્મનો તેનાથી
ઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં મધરાતે એરસ્ટ્રાઈક કરીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. આ કાર્યવાહી બાદ હવે ભારતે સરહદે S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી છે.
Trending Photos
ભારતે મધરાતે પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ હુમલાને ભારતીય સેના અને વાયુસેનાએ મળીને અંજામ આપ્યો છે. આ હુમલામાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં અનેક ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ભારતે એક્ટિવ કરી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ
આ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તરફથી કોઈ પણ જવાબી કાર્યવાહીની સંભાવના જોતા ભારતીય સેનાએ પોતાની તૈયારીઓ મજબૂત કરી છે. ભારતે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી એસ-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને એક્ટિવ કરી છે. હવે જાણો આ સિસ્ટમ દુશ્મનો માટે કેવી રીતે સૌથી મોટો કાળ ગણાય છે.
રશિયા પાસેથી ખરીદી છે આ સિસ્ટમ
એસ-400 મિસાઈલ સિસ્ટમ ભારતીય સેના પાસે શક્તિશાળી એર ડિફેન્સ હથિયાર ગણાય છે. આ સિસ્ટમ ભારતને કોઈ પણ સંભવિત હવાઈ હુમલાથી બચાવવા માટે પૂરી રીતે સક્ષમ છે. ભારતે વર્ષ 2018માં રશિયા પાસેથી લગભગ 5 અબજ ડોલરમાં એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની ડીલ કરી હતી. આ કરાર જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ઓક્ટોબર 2018માં ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે થયો હતો. ભારતે આ ડીલ હેઠળ એસ-400ના કુલ પાંચ યુનિટ ખરીદ્યા છે.
એસ-400ની તાકાત
એસ-400 દુનિયાની સૌથી ખતરનાક અને શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ ગણાય છે. ભારતે ખાસ કરીને ચીન અને પાકિસ્તાનના જોખમને જોતા તે તૈનાત કરી છે. આ સિસ્ટમની મારક ક્ષમતા 40થી 400 કિમી સુધીની હોય છે. એવું કહેવાય છે કે એસ-400માં એટલો દમ છે કે તે એડવાન્સ ફાઈટર જેટને પણ તોડી શકે છે.
મળતી માહિતી મુજબભારત-પાકિસ્તાન સરહદે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરાઈ છે. અત્રે જણાવવાનું કે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ભારતે પાકિસ્તાનની અંદર 9 આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરીને મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં મોટા પાયે આતંકીઓના સફાયાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
પાકિસ્તાનના પરમાણુ બોમ્બનો કાળ
ભારત પાસે પાકિસ્તાનના પરમાણુ બોમ્બનો પણ જવાબ છે. એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ S-400 છે. દુશ્મન કોઈ મિસાઈલથી હુમલો કે એટમ બોમ્બથી હુમલો કરે તો S-400 થી 72 મિસાઈલ છોડી શકાય છે. S-400 થી ભારતીય સેના 40થી 400 કિમી રેન્જની મિસાઈલો છોડી શકે છે. S-400 નું રડાર 600 કિમી દૂરથી જ જોખમ સૂંઘી લે છે. એટલે કે પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર રાવલપિંડીથી પણ કોઈ મિસાઈલ છોડવામાં આવે તો દિલ્હીથી તેને ટ્રેક કરી શકાય છે. -50 ડિગ્રીથી 70 ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ આ એર ડિફેન્સ સિસ્ટમ કારગર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે