અનેક સાંસદોને લઈને જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ ડાઈવર્ટ કરાયું, 2 કલાક હવામાં ચક્કર માર્યા, પછી...
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 માં રવિવારે અફરાતફરી મચી ગઈ. ફ્લાઈટ ઉડાણ ભર્યાની ગણતરીની પળોમાં જ ટર્બ્યુલન્સની ઝપેટમાં આવી ગઈ હતી. વધુ વિગતો જાણો.
Trending Photos
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 માં રવિવારે રાતે અચાનક હડકંપ મચી ગયો. ફ્લાઈટ ઉડાણ ભર્યાના ગણતરીની પળોમાં જ ટર્બ્યુલન્સની ઝપેટમાં આવી ગઈ. વિમાનને ટેક્નિકલ ખામીના કારણે ચેન્નાઈ તરફ ડાઈવર્ટ કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. વિમાન સુરક્ષિતરીતે ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું જ્યાં વિમાનની જરૂરી તપાસ કરાશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફ્લાઈટમાં પાંચ સાંસદ કે સી વેણુગોપાલ, કોડિક્કુનિલ સુરેશ, અડૂર પ્રકાશ, કે રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ હતા જે દિલ્હી જઈ રહ્યા હતા.
કોંગ્રેસ નેતા અને સાંસદ કે સી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે જાણકારી શેર કરી. તેમણે કહ્યું કે ફ્લાઈટની શરૂઆત જ વિલંબથી થયો અને ઉડાણ ભર્યા બાદ તરત અમારે અભૂતપૂર્વ ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક બાદ કેપ્ટને ફ્લાઈટ સિગ્નલ ફોલ્ટની જાહેરાત કરી અને ચેન્નાઈ તરફ વાળી.
વેણુગોપાલના જણાવ્યાં મુજબ લગભગ બે કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરેલું વિમાન ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું હતું. પહેલી લેન્ડિંગ કોશિશ દરમિયાન એક ચોંકાવનારી પળ આવી. રિપોર્ટ મુજબ તે રનવે પર એક વધુ વિમાન હાજર હતું. કેપ્ટનના ત્વરિત નિર્ણયે વિમાનને ઉપર ખેચી લીધુ અને તમામ મુસાફરોના જીવ બચી ગયા. બીજી કોશિશમાં વિમાન સુરક્ષિત લેન્ડ થયું.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે સ્કિલ અને લક બંનેએ અમને બચાવ્યો. પરંતુ પેસેન્જર સેફ્ટી લક પર નિર્ભર હોવી જોઈએ નહીં. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે આ ઘટનાની તાબડતોબ તપાસ કરે. જવાબદારી નક્કી કરે અને સુનિશ્ચિત કરે કે આવી ચૂક ફરીથી ન થાય.
Dear Mr Venugopal, we would like to clarify that the diversion to Chennai was precautionary due to a suspected technical issue and poor weather conditions. A go-around was instructed by Chennai ATC during the first attempted landing at Chennai airport, not because of the presence…
— Air India (@airindia) August 10, 2025
એરલાઈને દાવો ફગાવ્યો
એર ઈન્ડિયાએ કે સી વેણુગોપાલના એરપોર્ટ પર પહેલેથી અન્ય વિમાન હોવાના દાવાને જો કે ફગાવી દીધો છે. એર લાઈને કોંગ્રેસ સાંસદના એક્સ પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું કે અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ચેન્નાઈ તરફ ફ્લાઈટનું ડાઈવર્ઝન એક સાવધાનીપૂર્ણ પગલું હતું, જે સંદિગ્ધ ટેક્નિકલ સમસ્યા અને ખરાબ હવામાનની સ્થિતિના કારણે લેવાયું હતું. ચેન્નાઈ એરપોર્ટ પર પહેલીવાર લેન્ડિંગના પ્રયત્ન દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલે ગો-અરાઉન્ડનો નિર્દેશ આપ્યો હતો અને તે કોઈ અન્ય વિમાનના રનવે પર હાજર હોવાના કારણે નહતું.
એર ઈન્ડિયાએ કહ્યું કે અમારા પાઈલોટ આવી પરિસ્થિતિઓને સંભાળવવા માટે સંપૂર્ણ રીતે તાલિમબદ્ધ છે અને આ મામલે પણ તેમણે સમગ્ર ઉડાણ દરમિયાન તમામ માપદંડોનું પાલન કર્યું છે. અમે સમજીએ છીએ કે આ અનુભવ તમારા માટે અસહજ રહ્યો હશે અને આ ડાઈવર્ઝનથી થયેલી અસુવિધાઓ બદલ અમે દીલગીર છીએ. અમારા માટે મુસાફરો અને ક્રુની સુરક્ષા હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે. તમારી સમજદારી બદલ આભાર.
એર ઈન્ડિયાએ અધિકૃત નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે રનવે પર કોઈ અન્ય વિમાનની હાજરીએ લેન્ડિંગમાં મુશ્કેલી પેદા કરી. એરલાઈને ફક્ત ટેક્નિકલ ખામી અને હવામાનને ડાઈવર્ઝનનું કારણ ગણાવ્યું. વિમાન 10 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી માટે રવાના થયું હતું.
એર ઈન્ડિયાએ આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યું અને કહ્યું કે ચેન્નાઈમાં રહેલી તેમની ટીમ મુસાફરોને દરેક શક્ય મદદ કરી રહી છે અને તેમને જેમ બને તેમ જલદી તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે. પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે મુસાફરો અને ક્રુની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે